મોડી રાત્રે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લઈ લીધો છે. ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી કેમ્પો ફૂંકી માર્યા હતા. ભારતીય સેનાના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનમાં નવ આતંકવાદી છાવણીઓનો નાશ કરવામાં આવ્યો હતો. જૈશ, લશ્કર અને હિઝબુલના આતંકવાદી અડ્ડા પર હુમલા કર્યા હતા. આ ઓપરેશનને સારી રીતે સમજીએ.
- મિશનનું લક્ષ્ય :ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અડ્ડા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અડ્ડાઓમાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું. ભારતના આ હુમલા અંગે પાકિસ્તાન સાવ અંધારામાં રહ્યું હતું.
- 9 સ્થળોએ હુમલા :ભારતે ઓપરેશન સિંદૂરમાં બહાવલપુર, મુરીદકેથી ચક અમરુ, સિયાલકોટ સુધી ભારે તબાહી મચાવી હતી.
- ભારતનો સંયમ :ઓપરેશન સિંદૂરમાં ભારતે કોઈપણ પાકિસ્તાની લશ્કરી મથકને નિશાન બનાવ્યું ન હતું. ભારતે લક્ષ્યોની પસંદગી અને હુમલામાં સંયમ દાખવ્યો છે. ભારતના ઓપરેશન સિંદૂરનો પડઘો અમેરિકા સુધી પહોંચ્યો છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપી છે.
- પાકિસ્તાનનું JF-17 વિમાન તોડી પડાયું :ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનના JF-17 ને તોડી પાડ્યું હતું. ભારતે આકાશ મિસાઇલ સિસ્ટમથી આ વિમાનને તોડી પાડ્યું હતું.
- ત્રણેય સેનાઓની સંયુક્ત કાર્યવાહી : ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના ચોકસાઇવાળા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૈન્યે કામિકાઝ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો.
- વડાપ્રધાન મોદી આખી રાત જાગતા રહ્યા : ભારતે આશ્ચર્યજનક રીતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાનની નજર આજે ભારતમાં યોજાનારી મોક ડ્રીલ પર હતી, પણ ભારતે મોક ડ્રીલ હાથ ધરવા પહેલાં જ હુમલો કરી દઈને પાકિસ્તાનને અચંબામાં મુકી દીધું હતું. આખા ઓપરેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નજર રાખી હતી. આખી રાત જાગતા રહીને તેમણે સતત અપડેટ્સ મેળવ્યા હતા.
About Team gujarat365
Gujarat 365 team.